
<p><strong>Gujarat Stamp Amendment Bill:</strong> રાજ્યની જનતા પર વધુ પડતા કરનું ભારણ ન પડે અને રાજ્યનો આર્થિક વિકાસ પણ સતત થતો રહે તે હેતુથી ગુજરાત સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારાઓ સાથેનું ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે રજૂ કર્યું હતું, જે સર્વાનુમતે પસાર થયું છે.</p> <p>મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણ કરવા, સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની યોગ્ય વસૂલાત માટે સતત કાર્યરત છે. આ સુધારાઓ બદલાયેલા સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ કાયદાને સરળ બનાવવા અને વહીવટમાં પારદર્શકતા વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે.</p> <p>આ સુધારા વિધેયકના મુખ્ય મુદ્દાઓ વિશે માહિતી આપતાં મંત્રી એ જણાવ્યું કે હવે વારસાગત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના લેખ ઉપરની સ્ટેમ્પ ડ્યૂટી ૪.૯૦ ટકાથી ઘટાડીને ફક્ત ૨૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર થઈ શકશે. આનાથી પારિવારિક મિલકતોના હક્ક કમીમાં મોટી રાહત મળશે.</p> <p>તે જ રીતે, ગીરો લેખ માટેની ડ્યૂટીમાં ૮૦ ટકા જેટલો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રૂ. ૧ કરોડ સુધીની લોન મેળવવા માટે પહેલાં ભરવાના થતા રૂ. ૨૫૦૦૦ની ડ્યૂટી ઘટાડીને વધુમાં વધુ રૂ. ૫૦૦૦ કરવામાં આવી છે. આ જોગવાઈથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ઘર ખરીદવામાં અને નાના ઉદ્યોગકારોને ધંધો શરૂ કરવામાં સરળતા રહેશે.</p> <p>નાગરિકોની સુવિધામાં વધારો કરતાં ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ માટે હવે ઘરેબેઠાં જ ઇ-રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે લોકોને સબ રજિસ્ટ્રાર કચેરી સુધી જવાની જરૂર નહીં પડે, જેનાથી તેમના સમય અને શક્તિનો બચાવ થશે.</p> <p>વધુમાં, કાયદામાં સ્પષ્ટતા ન હોવાના કારણે કેટલીક બેંકો સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં અનિયમિતતા કરતી હતી. હવે નવા સુધારા મુજબ મોર્ગેજના લેખ ઉપર ડ્યૂટી ભરપાઈ કરવાની જવાબદારી બેંકોની નક્કી કરવામાં આવી છે, જેનાથી સામાન્ય માણસને લોન લેતી વખતે જ આનો લાભ મળશે.</p> <p>આ ઉપરાંત, ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમ પછી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની સમય મર્યાદા ૩૦ દિવસથી વધારીને ૬૦ દિવસ કરવામાં આવી છે. લેખ નોંધણી બાદ પણ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની મર્યાદા ૩૦ દિવસથી વધારીને ૬૦ દિવસ કરાતાં નાગરિકોને વધુ સમય મળશે.</p> <p>ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરવા અથવા ચોરી કરવાના કિસ્સામાં દંડની જોગવાઈઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અરજદાર સામેથી ડ્યૂટી ભરવા આવે તો ખૂટતી ડ્યૂટીના ૨ ટકા લેખે વધુમાં વધુ ૪ ગણો દંડ અને નોટિસ મળ્યા બાદ ડ્યૂટી ભરવા આવે તો ૩ ટકા લેખે વધુમાં વધુ ૬ ગણો દંડ વસૂલવામાં આવશે, જેનાથી નિર્ણયોમાં એકસૂત્રતા આવશે.</p> <p>આ સુધારામાં માલિકી ફેરબદલીની વ્યાખ્યાનો વ્યાપ વધારવામાં આવ્યો છે, જેમાં કંપનીઓના એકત્રીકરણ, શેર ટ્રાન્સફરથી થતી તબદીલી અને ટ્રિબ્યુનલના હુકમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાના હેતુથી મૂળ લેખની ગેરહાજરીમાં તેની નકલને પણ લેખની વ્યાખ્યામાં સમાવવામાં આવી છે.</p> <p>મંત્રી એ જણાવ્યું કે આ સુધારાઓથી કાયદો વધુ અસરકારક, પારદર્શી અને નાગરિકો માટે સરળ બનશે. વારસાગત મિલકતોની તબદીલી સરળ થશે અને સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવી રાજ્યની આવક વધારી શકાશે. આ સુધારાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પારદર્શક કાયદા બનાવવાના વિઝનને અનુરૂપ છે અને તેનાથી રાજ્યના વિકાસ અને સુખાકારીમાં વધારો થશે.</p>
Comments
Post a Comment