
<p><strong>PM MODI GUJARAT VISIT:</strong> PM મોદી થોડીવારમાં ગુજરાત પહોંચશે. તેઓ રાજકોટથી સીધા જસદણ તાલુકાના આટકોટ ખાતે એક હોસ્પિટલના ઉદ્ધાટનમાં સામેલ થશે. પીએમ મોદીના હસ્તે આ નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન થશે. પીએમ મોદીને આવકારવા બીજેપીના કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. રાજકોટમાં પીએમ મોદીનું સીએમ ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સ્વાગત કરશે</p> <p>વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સહકાર સે સમૃદ્ધિ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે. આ સેમિનારમાં કેંદ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.</p> <p>ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.</p> <p>વડાપ્રધાન મોદી રાજકોટના આટકોટમાં નવનિર્મિત કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ જનસભાને સંબોધશે. હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમને લઈ વિશાળ ડોમ તૈયાર કરાયો છે. તો જનતાને બેસવા માટે 4 ડોમ તૈયાર કરાયા છે. 50 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 200 બેડની આ હોસ્પિટલમાં દર્દીઓને નજીવા દરે સારવાર અપાશે. હૉસ્પિટલમાં કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. 14 કરોડના ખર્ચે બહારથી અત્યાધુનિક મશીનો મગાવાયા છે..અહીં જનરલ વોર્ડમાં 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, ફિઝિયોથેરપી સહિતના આધુનિક વિભાગો કાર્યરત છે. આ હોસ્પિટલથી રાજકોટ, અમરેલી,અને ભાવનગર જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મોટો ફાયદો થશે.</p>
Comments
Post a Comment