ભર શિયાળે અષાઢ જેવો માહોલ! 8 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, જાણો અપડેટ્સ

<p><strong>Gujarat Weather Update Today:</strong> ગુજરાતમાં ઠંડીનું જોર ઘટતાની સાથે જ વાતાવરણમાં એકાએક પલટો (Weather Change) આવ્યો છે. ભર શિયાળે રાજ્યના માથે 'માવઠા' (Unseasonal Rain) નું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે સોમવારે, 2 February, 2026 ના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા છે.</p> <p>હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે રાજ્યના 8 જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘગર્જના સાથે હળવા વરસાદની શક્યતા છે. આ ચેતવણી આપેલા જિલ્લાઓમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.</p> <p>હવામાન વિભાગની આગાહી સાચી પડતી હોય તેમ આજે સવારથી જ પંચમહાલ અને મહીસાગર પંથકમાં વાતાવરણ પલટાયું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણાં પંથકમાં કમોસમી વરસાદ (Non-seasonal Rain) વરસ્યો હતો. જ્યારે મહીસાગરના સંતરામપુર વિસ્તારમાં પણ માવઠાની અસર જોવા મળી હતી.</p> <p>ખેતરોમાં અત્યારે શિયાળુ પાક તૈયાર થવાના આરે ઉભો છે, ત્યારે જ કુદરત રૂઠી હોય તેમ વરસાદી છાંટા પડતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. જો વરસાદનું જોર વધશે તો રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.</p> <p>કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટે તાકીદની એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે. જે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય, તેમણે તાત્કાલિક તેને સુરક્ષિત ગોડાઉન કે છત નીચે ખસેડી લેવો. જો પાક ખસેડવો શક્ય ન હોય તો તેને પ્લાસ્ટિક અથવા સારી ગુણવત્તાની તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકી દેવો જેથી પાણીથી નુકસાન ન થાય.</p> <p>ખેતીવાડી અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે જ્યાં સુધી વાદળછાયું કે વરસાદી વાતાવરણ રહે ત્યાં સુધી પાક પર કોઈપણ પ્રકારની જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. આ ઉપરાંત વાવેતર માટે રાખેલું બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તેની ખાસ તકેદારી રાખવી.</p> <p>માત્ર ખેતરોમાં જ નહીં, પરંતુ વિવિધ માર્કેટિંગ યાર્ડ (APMC) માં જણસી વેચવા આવતા ખેડૂતો અને વેપારીઓને પણ સાવચેત રહેવા જણાવાયું છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળે નહીં તે માટે શેડની વ્યવસ્થા કરવા અથવા તાડપત્રી ઢાંકવા સત્તાધીશો દ્વારા અનુરોધ કરાયો છે.</p>
Comments
Post a Comment