
<p><span style="font-weight: 400;"><strong>Gauchar Land Encroachment Gujarat:</strong> ગાંધીનગર ખાતે યોજાયેલા ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્ર દરમિયાન રાજ્યમાં પશુઓના ચરિયાણ માટે ફાળવવામાં આવેલી ગૌચર જમીનો પર થયેલા ગેરકાયદેસર કબ્જા અંગેના ચોંકાવનારા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષના સભ્યો દ્વારા પૂછવામાં આવેલા લેખિત પ્રશ્નોના ઉત્તરમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતના 26 જિલ્લાઓમાં મોટા પાયે ગૌચરની જમીનો પર દબાણ કરવામાં આવ્યું છે. પશુપાલન પર નિર્ભર ગ્રામીણ અર્થતંત્રને નુકસાન પહોંચાડતા આ દબાણોને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવી રહ્યા છે તે અંગેની વિગતો પણ ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. આ અહેવાલ મુજબ, રાજ્યભરમાં કુલ 7,653 જેટલા દબાણો નોંધાયા છે, જેમાંથી સૌથી વિકટ પરિસ્થિતિ પોરબંદર જિલ્લાની જોવા મળી છે.</span></p> <p><strong>જિલ્લાવાર દબાણોની વિગતવાર માહિતી</strong></p> <p><span style="font-weight: 400;">રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, વિવિધ જિલ્લાઓમાં ગૌચરની જમીન પર થયેલા દબાણોની સંખ્યા નીચે મુજબ છે:</span></p> <p><span style="font-weight: 400;">સૌથી વધુ દબાણો ધરાવતા જિલ્લાઓમાં પોરબંદર પ્રથમ ક્રમે છે, જ્યાં કુલ 1,932 દબાણો નોંધાયા છે. ત્યારબાદ મહેસાણામાં 965 અને આણંદમાં 784 દબાણો જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં 636, ગીર સોમનાથમાં 589 અને અમરેલીમાં 232 દબાણો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં 586, ગાંધીનગરમાં 369 અને સાબરકાંઠામાં 38 દબાણો છે. મધ્ય ગુજરાતના ખેડામાં 109, અમદાવાદમાં 182 અને વડોદરામાં 18 દબાણોની નોંધણી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં 66, નવસારીમાં 11 અને ભરૂચમાં 7 દબાણો છે. અન્ય જિલ્લાઓમાં રાજકોટમાં 511, ભાવનગરમાં 223, મોરબીમાં 83, કચ્છમાં 78, નર્મદા અને બોટાદમાં 80 80 દબાણો નોંધાયા છે. જ્યારે દાહોદમાં 26, અરવલ્લીમાં 21, મહીસાગરમાં 7, સુરેન્દ્રનગરમાં 4 અને પંચમહાલમાં સૌથી ઓછા 3 દબાણો છે.</span></p> <p><strong>પશુપાલકો અને પશુધન માટે વધતી મુશ્કેલીઓ</strong></p> <p><span style="font-weight: 400;">ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં પશુપાલન એ લાખો લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે, ત્યાં ગૌચરની જમીનો પર થતા દબાણો એક ગંભીર સમસ્યા બની ગયા છે. ગૌચરની જમીન પર થતા બાંધકામો અથવા ખેતીકામને કારણે પશુઓને ચરવા માટે પૂરતી જગ્યા મળતી નથી. આ સમસ્યાને કારણે માલધારી સમુદાયમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા દર્શાવે છે કે 26 જિલ્લાઓમાં ફેલાયેલું આ જાળ પશુધનના સંવર્ધન માટે મોટો પડકાર છે.</span></p> <p><strong>સરકારની કડક કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયા</strong></p> <p><span style="font-weight: 400;">રાજ્ય સરકારે ગૃહમાં ખાતરી આપી છે કે આ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વહીવટી સ્તરે સક્રિય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં નોટિસો ફટકારવામાં આવી છે અને કેટલાક જટિલ પ્રશ્નો અત્યારે ન્યાયાલયના આધીન છે. પશુધન માટે અનામત રાખવામાં આવેલી આ પવિત્ર જમીનોને ખુલ્લી કરાવવા માટે સ્થાનિક પંચાયતો અને મહેસૂલ વિભાગને સંકલનમાં રહીને કામ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં ઝુંબેશ ચલાવીને આ દબાણો દૂર કરવાની નેમ સરકારે વ્યક્ત કરી છે.</span></p>
Comments
Post a Comment