પોર્ટલ છે કે પરેશાની? જીકાસની ક્ષતિઓ મુદ્દે ABVP મેદાને:VNSGUમાં ‘મટકા ફોડ’ આંદોલન, રુપિયા 300ની ફી ઘટાડવા અને પ્રાઈવેટ યુનિવર્સિટીઓને જોડવા માંગ
https://ift.tt/q7kzBUK વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે 17 એપ્રિલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એડમિશન પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલા GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં સર્જાતી સતત ટેકનિકલ ખામીઓના વિરોધમાં કાર્યકરોએ 'મટકા ફોડ' કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટલની અવ્યવસ્થા સામે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. હાથમાં પૂતળું અને મટકું લઈ રોષ વ્યક્ત કર્યો ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા હતા. વિરોધના પ્રતીક રૂપે કાર્યકરો જીકાસ પોર્ટલનું પૂતળું અને મટકું બનાવીને લાવ્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે એડમિશન પ્રક્રિયાના મહત્વના સમયે જ પોર્ટલ ખોરવાઈ જવાથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. કાર્યકરોએ કુલપતિ કચેરીની બહાર પૂતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મટકું ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 'દર વર્ષની સમસ્યા છતાં તંત્ર નિંદ્રામાં' ABVP સ્ટેટ મીડિયા કો-કન્વીનર અભિ મનવરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, GCAS પોર્ટલમાં દર વર્ષે ગંભીર સમસ્યાઓ સર્જાય છે, જેના વિશે અમે અવારનવાર રજૂઆત કરી છે. છતાં પણ સરકાર કે ટેકનિકલ ટીમ દ્વારા કોઈ સુધારો કરવામાં આવતો નથી. વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં અને ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર માત્ર આશ્વાસનો આપે છે પણ કોઈ કામગીરી દેખાતી નથી. આ આંદોલન આખા ગુજરાતભરમાં વિદ્યાર્થીઓના ન્યાય માટે છે. 300ની ફી ઘટાડવા, પ્રાઈવેટ યુનિવર્સિટીઓને જોડવા માંગ વિદ્યાર્થી પરિષદ દ્વારા માત્ર ટેકનિકલ ખામીઓ જ નહીં, પણ આર્થિક બોજ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ABVP ની માંગ છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ પેટે 300 રૂપિયા ઉઘરાવવામાં આવે છે, તે ફીમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે અથવા તો આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે. વધુમાં, એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે તમામ પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો પણ GCAS પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને એડમિશન માટે અલગ-અલગ જગ્યાએ ભટકવું ન પડે. નિર્ણય ન આવે તો ઉગ્ર લડતની ચીમકી છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે લડત ચલાવી રહેલી વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય સુધારા કરવામાં નહીં આવે, તો આંદોલન વધુ તેજ બનશે. આગામી દિવસોમાં રાજ્યની દરેક કોલેજ કેમ્પસની બહાર ધરણા પ્રદર્શન અને વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે. જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં નક્કર નિર્ણય નહીં લેવાય અને પોર્ટલની ક્ષતિઓ દૂર નહીં થાય, સુધી વિદ્યાર્થી પરિષદ સતત લડતી રહેશે.
Comments
Post a Comment