
<p><strong>Gujarat Congress Mission Unknown:</strong> ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે, પરંતુ હાલ કોંગ્રેસ છાવણીમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભાજપ સત્તાના જોરે તેમના ઉમેદવારોને ફોડી નાખશે અથવા દબાણ કરીને ફોર્મ પાછા ખેંચાવી લેશે તેવા ડરથી પ્રદેશ કોંગ્રેસે હવે 'મિશન અજ્ઞાત' એટલે કે ઓપરેશન ગુપ્તવાસ શરૂ કરી દીધું છે. વલસાડ, સુરત, રાજકોટ સહિત રાજ્યભરના અલગ-અલગ શહેરોમાંથી સેંકડો કોંગ્રેસી ઉમેદવારોને રાતોરાત અંડરગ્રાઉન્ડ કરીને સેફ હાઉસમાં મોકલી દેવાયા છે. કોંગ્રેસનો સીધો આરોપ છે કે ભાજપ સત્તા, પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો દુરુપયોગ કરીને બિનહરીફ જીતવા માટે 'સામ, દામ, દંડ અને ભેદ' ની નીતિ અપનાવી રહ્યું છે. ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ ઉમેદવારો ગુપ્તવાસમાં જ રહેશે.</p> <p><strong>સુરત અને રાજકોટમાં કિલ્લેબંધી, ફોન પણ જમા લઈ લેવાયા</strong></p> <p>સૌથી મોટો ડર સુરત અને રાજકોટ મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યો છે. સુરતમાં કોંગ્રેસે પોતાના 40 જેટલા મજબૂત ઉમેદવારોને શહેરથી દૂર 11 અલગ-અલગ ગુપ્ત સ્થળોએ ખસેડી દીધા છે. આ ઉમેદવારો માટે ખાસ સેફ હાઉસ બનાવીને કિલ્લેબંધી કરવામાં આવી છે. એટલું જ નહીં, કોઈનો સંપર્ક ન થઈ શકે તે માટે તેમના મોબાઈલ ફોન પણ જમા કરાવી લેવાયા છે અને પરિવાર સાથે વાતચીત કરવા પર પણ રોક લગાવી દેવાઈ છે. દરેક ઉમેદવાર સાથે બે ગુપ્ત 'શેડો' (પડછાયા જેવા) કાર્યકર્તાઓને તૈનાત કરાયા છે.</p> <p>બીજી તરફ, રાજકોટમાં પણ 20 જેટલા ઉમેદવારોને કાલાવડ બાજુના કોઈ ફાર્મ હાઉસમાં અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ વાતની પુષ્ટિ કરતા ભાજપ પર પોલીસનો ડર બતાવીને ઉમેદવારો તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.</p> <p><strong>દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ 'ઓપરેશન ગુપ્તવાસ'</strong></p> <p>વલસાડ અને નવસારીમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. વલસાડ કોંગ્રેસે પોતાના 30 થી વધુ ઉમેદવારોને છેક રાજસ્થાન ખસેડી દીધા છે. જ્યારે નવસારીમાં પણ 30 થી વધુ ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરાયા છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનો આક્ષેપ છે કે અધિકારીઓ ઉમેદવારોને ફોન કરીને ડરાવી રહ્યા છે અને ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે.</p> <p>મધ્ય ગુજરાતની વાત કરીએ તો, નડિયાદ મનપાની 52 બેઠકો સામે કોંગ્રેસે 50 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી 25 જેટલા ઉમેદવારોને દબાણના ડરથી અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા છે. વડોદરાના ડભોઈમાં પણ વોર્ડ નંબર 3, 5, 7 અને 9 ના આઠ જેટલા ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરાયા છે.</p> <p><strong>સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સાવચેત</strong></p> <p>ગાંધીનગર પાસે આવેલી કલોલ નગરપાલિકામાં ભાજપે 4 બેઠકો પર બિનહરીફ જીત મેળવી લેતા કોંગ્રેસ ચોંકી ઉઠી હતી, જેથી બાકીના 15 થી 20 જેટલા ઉમેદવારોને તરત જ અજ્ઞાત સ્થળે ખસેડી લેવાયા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર મનપાના 32 ઉમેદવારો ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. મોરબીમાં પણ મહાનગરપાલિકાના 4 અને માળીયા તાલુકા પંચાયતના 3 મળીને કુલ 7 ઉમેદવારોને કોઈ ગુપ્ત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ટૂંકમાં, આખી ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોને સાચવવા એ કોંગ્રેસ માટે એક મોટો પડકાર બની ગયો છે.</p>
Comments
Post a Comment