
<p><strong>Gujarat Rain Forecast:</strong>Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વેઘરની પેર્ટન ચેન્જ થવાના કારણે ઉનાળામાં કાળઝાળ ગરમીના બદલે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો. જો કે હવે આગામી દિવસમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે, તે વિશે જાણીએ.. હવામાન વિભાગે આજે અને કાલે એમ 9 એપ્રિલ સુધી છૂટછવાયો હળવા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને કેટલાક વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. જો કે 10 એપ્રિલથી ફરી ઉનાળામાં જે ગરમી પડે તેવી જ ગરમીનો ફરી અનુભવ થશે, 10 એપ્રિલથી રાજ્યના તાપમાનમાં 3થી4 ડિગ્રીનો વધારો થતાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગે 10 એપ્રિલ બાદ વરસાદની શક્યતાને નકારી છે. જો કે 11 એપ્રિલે વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. આ સિસ્ટમ ભારતમાં વરસાદ લાવશે પરંતુ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે વરસાદની કોઇ શક્યતા નથી. આ સિસ્ટમના કારણે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં વરસાદ વરસી શકે છે. </p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 7થી 8 એપ્રિલે હવામાન વિભાગે છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. આ શક્યતાની વચ્ચે છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસ્યો. રંગપુર, જોડાવાંટ, ફેરકુવા, ખડકવાડા કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વધી છે. મકાઈ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે. ગઈકાલે ખાબકેલા કમોસમી વરસાદથી માણસામાં મોટું નુકસાન થયું છે. માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનથી ખાબકેલા વરસાદે નુકસાન નોતર્યું છે. માણેકપુર, દેલવાડ, ગ્રામભારતી અને અંબોડ સહિતના વિસ્તારોમાં નુકસાન થયું છે. ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક સોલાર પેનલ ઉડી જતા નુકસાન થયું છે. માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં બાજરી, જુવાર, તમાકુના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતા વધી છે. </p> <p><strong>દિલ્હી-એનસીઆર સહિત આ રાજ્યોમાં વરસાદ</strong><br />હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં ખરાબ હવામાન માટે ચેતવણી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આનાથી તાપમાનમાં ઘટાડો થવાની અને ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે</p> <p><strong>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પવનની દિશામાં ફેરફાર</strong><br />પશ્ચિમી વિક્ષેપોને કારણે એપ્રિલમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આ વિક્ષેપોની અસર ગુજરાત સહિત મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ, પૂર્વોત્તર રાજ્યો અને આંધ્રપ્રદેશ સુધી દક્ષિણમાં અનુભવાઈ રહી છે. હવામાનમાં આ ફેરફાર પશ્ચિમી વિક્ષેપોની અસર તેમજ પવનની દિશામાં ફેરફારને કારણે છે. પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે આંશિક વાદળછાયું આકાશ અને હળવો વરસાદ થવાની સંભાવના છે.</p> <p> </p>
Comments
Post a Comment