
<p><strong>Gujarat Weather:</strong> રાજ્યમાં સતત ગરમીનો પ્રકોપ હાલ અનુભવાઇ રહ્યો છે. જો કે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 19 એપ્રિલથી 22 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 19 એપ્રિલથી રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ખાસ કરીને વાતાવરણમાં પલટાની શરૂઆત સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી અને દક્ષિણ ગુજરાતથી થશે. હવામાન વિભાગે ગુજરાતમાં 19થી 22 એપ્રિલ સુધી કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. વેધરની બદલાતી પેર્ટનને જોતા લગભગ એપ્રિલના અંત સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, જેથી તાપમાનમાં પણ ઘટાડો થશે. 19થી 22 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ થઇ શકે છે. </p> <p>ઉલ્લેખનિય છે કે, એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જાઇ રહી છે, જેના કારણે ભેજવાળા ઠંડા પવન વહી રહ્યાં છે અને તાપમાનમાં પણ ઘટાડો થયો છે, એક બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઇ રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં ઠંડા ભેજવાળા પવન વહશે અને તેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. </p> <p>19 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને આ ઝોનના દરિયાકાઠાના વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમરેલી ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 21 અને 22 એપ્રિલે ગુજરાતના પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું વધુ જોર રહેશે. </p> <p>ગરમીની વાત કરીએ તો રાજ્યમાં હવે ઠંડા અને ભેજવાળા પવનના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને 23 એપ્રિલ બાદ ફરી તાપમાનમાં વધારો થઇ શકે છે. અન્ય રાજ્યોના હવામાનની સ્થિતિ વિશે વાત કરીએ તો મધ્ય પ્રદેશ ઓડિશા, મહારાષ્ટ્રના મોટાભાગમાં હિટવેવની સ્થિતિ છે. આ રાજ્યોના મોટાભાગના જિલ્લામાં તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે ઉત્તર ભારતમાં હાલ વહેતા ઠંડા પવનના કારણે ગરમીનું પ્રમાણ ઓછું છે તો પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. </p> <p>શુક્રવારે રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. જોકે, ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામ થઈ ગયો. દરમિયાન, હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા વિસ્તારો માટે હવામાન અપડેટ્સ જાહેર કર્યા છે.</p> <p>આગામી બે થી ત્રણ દિવસમાં રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન વધુ વધવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી શકે છે.</p> <p> </p>
Comments
Post a Comment