
https://ift.tt/FzDtJZa નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. 9 જૂનથી પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં ઘણા પશુપાલકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી. શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા તથા માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઘટાડવા માટે પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન જરૂરી છે. તે મુજબ, તમામ પશુપાલકોને તા. 31 ઓગસ્ટ સુધીમાં પોતાના પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન નવસારી મહાનગર પાલિકાની વેબસાઈટ https://nmc. gujarat. gov.in તથા ઓફલાઈન દુધિયા તળાવ સ્થિત નવસારી મહાનગર પાલિકાની કચેરીના રખડતા ઢોર અંકુશ વિભાગની કચેરીમાં જઈ કરાવી લેવા જણાવાયું છે. તા. 1 સપ્ટેમ્બરથી મહાનગરપાલિકા વિસ્તારના પાલતુ પશુઓના ટેગીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ કરાવવાની અંગત જવાબદારી પશુ માલિકની રહેશે. નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ છે. આવા પકડાયેલા પશુઓને પાંજરાપોળમાં મુકવામાં આવી રહ્યા છે . ટેગ વિના પકડાયેલા પશુઓ પર પશુમાલિકનો કોઇ હક રહેશે નહીં તેવું જણાવાયું છે. નવસારી જિલ્લામાં ઘણા સમયથી રખડતા ઢોરોનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. રખડતા ઢોરને કારણે 3થી 4 જણાના મોત પણ થયા છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને કારણે કોઇજાનહાની ન બને અને ઢોરના માલિક કોણ છે તે અંગેની જાણ પણ ટેગીંગની પ્રક્રિયા કરવાથી મળી રહેશે. જેને લઇ મહાનગરપાલિકા દ્વારા 9 જુન-2025થી એક જાહેરનામું બહાર પાડીને પાલતુ પ્રાણીઓના રજીસ્ટ્રેશન માટે જાહેરાત કરી હતી. પણ ઘણા લોકોએ પાલિકાની અપીલને માન્ય ન રાખી રજીસ્ટ્રેશન કરાવ્યા નથી. હવે મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે રજીસ્ટ્રેશનની તારીખ અંતિમ 31 ઓગસ્ટ આપી છે. જેને લઇ શહેરીજનોને આ તારીખમાં તેમના પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું છે. ટેગીંગની પ્રકિયા પૂર્ણ કરવા અનુરોધ નવસારી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુપાલકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન તથા ટેગીંગની પ્રક્રિયા પૂર્ણ કરી સહકાર આપવા નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગના અધિકારી દ્વારા જણાવાયું છે.
Comments
Post a Comment