Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ

<p><strong>Gujarat air pollution:</strong> ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે જ હવાની ગુણવત્તામાં ભારે બગાડ જોવા મળી રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. તાજેતરના આંકડા મુજબ, ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 193 સુધી પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. સામાન્ય રીતે AQI 150 થી ઉપર જાય ત્યારે તે લોકોના આરોગ્ય માટે 'ઘાતક' સાબિત થાય છે. રાજ્યના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં વાહનોના ધુમાડા અને ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણને કારણે હવામાં ઝેર ભળી રહ્યું છે. ખાસ કરીને ચીખલી, દમણ, અમદાવાદ અને અંકલેશ્વર જેવા શહેરોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે.</p> <p><strong>ગુજરાતના આ શહેરોમાં 'રેડ એલર્ટ' જેવી સ્થિતિ</strong></p> <p>રાજ્યમાં વધતા પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી દીધી છે. ઔદ્યોગિક એકમો અને સતત વધતા વાહનોને કારણે રાજ્યના 8 જેટલા મુખ્ય શહેરોનો એર ક્વોલીટી ઇન્ડેક્સ જોખમી સપાટીએ પહોંચ્યો છે.</p> <p>સૌથી પ્રદૂષિત શહેરો: રાજ્યમાં સૌથી ખરાબ હવા દક્ષિણ ગુજરાતના ચીખલીમાં નોંધાઈ છે, જ્યાં AQI 227 પર પહોંચ્યો છે. તેના પછી સંઘપ્રદેશ દમણનો ક્રમ આવે છે, જ્યાં આંકડો 213 નોંધાયો છે.</p> <p>અમદાવાદ અને અંકલેશ્વર: મેગા સિટી અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા બગડી છે અને અહીં AQI 195 પર પહોંચ્યો છે. રસાયણ નગરી ગણાતા ભરૂચના અંકલેશ્વરમાં પણ પ્રદૂષણનું સ્તર 195 ને પાર કરી ગયું છે, જે અત્યંત ચિંતાજનક છે.</p> <p>ભાવનગર: સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ પ્રદૂષણનો ગ્રાફ ઉપર ગયો છે, જ્યાં AQI 172 નોંધવામાં આવ્યો છે.</p> <p>જ્યારે એર ક્વોલીટી ઇન્ડેક્સ 150 થી વધી જાય છે, ત્યારે તે સામાન્ય નાગરિકો માટે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે.</p> <p><strong>પ્રદૂષકો: PM2.5 શા માટે છે સૌથી વધુ જોખમી?</strong></p> <p>યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) મુજબ, હવાની ગુણવત્તા માપવા માટે અત્યાધુનિક સેન્સર્સ અને લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. હવામાં રહેલા પ્રદૂષકોમાં PM2.5, PM10, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મુખ્ય છે.</p> <p>આ તમામમાં PM2.5 (પાર્ટીક્યુલેટ મેટર) સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. આ કણોનું કદ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી પણ નાનું હોય છે. તેમનું કદ એટલું સૂક્ષ્મ હોય છે કે તે શ્વાસ દ્વારા સીધા આપણા ફેફસામાં અને ત્યાંથી લોહીના પ્રવાહમાં ભળી શકે છે. આને કારણે હૃદયરોગ, શ્વસનતંત્રના રોગો અને અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.</p> <p><strong>જાણો AQI સ્કેલ: ક્યારે સ્થિતિ બને છે ગંભીર?</strong></p> <p>ઇન્ટરનેશનલ એર ક્વોલીટી ઇન્ડેક્સ (AQI) દ્વારા હવા કેટલી શુદ્ધ છે તેનું માપન 0 થી 500 ના સ્કેલ પર કરવામાં આવે છે. ચાલો સમજીએ કે કયો આંકડો શું સૂચવે છે:</p> <p>0 - 50 (સારું): હવા એકદમ શુદ્ધ છે. તમે કોઈપણ ડર વગર બહાર ફરી શકો છો.</p> <p>51 - 100 (મધ્યમ): મોટાભાગના લોકો માટે સ્વીકાર્ય છે, પરંતુ જેમને શ્વાસની તકલીફ છે તેમને સામાન્ય મુશ્કેલી થઈ શકે છે.</p> <p>101 - 150 (અસ્વસ્થ): આ સ્તરે બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોએ સાવચેત રહેવું જોઈએ. બહારની પ્રવૃત્તિઓ ઓછી કરવી હિતાવહ છે.</p> <p>151 - 200 (જોખમી): આ સ્તર દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. ગુજરાતના ઘણા શહેરો હાલ આ કેટેગરીમાં છે.</p> <p>201 - 300 (ખૂબ જ હાનિકારક): આ સ્થિતિમાં બહાર નીકળવું ટાળવું જોઈએ. જેમને દમ કે અસ્થમા છે તેમણે ફરજિયાત ઘરમાં રહેવું જોઈએ.</p> <p>301+ (અત્યંત જોખમી): આ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, જ્યાં હવા શ્વાસ લેવા લાયક રહેતી નથી.</p> <p>હાલની સ્થિતિ જોતા, નાગરિકોએ ખાસ કરીને સવારના સમયે જ્યારે ધુમ્મસ અને પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય ત્યારે બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગયું છે.</p>
Comments
Post a Comment