જોષીપુરા-ખામધ્રોળમાં અશાંતધારો લાગુ થતાં સ્થાનિકોમા ભારે ખુશી.:જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ: રાજ્ય સરકારના ઐતિહાસિક જાહેરનામાથી હિન્દુ સંગઠનોમાં ઉત્સાહ; મિલકતની લે-વેચ પર હવે વહીવટી તંત્રની સીધી નજર રહેશે.
https://ift.tt/5KV6JkD જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સ્થાનિક રહીશોની ઉગ્ર રજૂઆતો અને વિવિધ હિન્દુ સંગઠનોના આંદોલનોનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અસરો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરીને જૂનાગઢ શહેરના કેટલાક અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં 'અશાંત ધારો' એટલે કે 'The Gujarat Prohibition of Transfer of Immovable Property Act, 1991' અમલી બનાવી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને પગલે ખાસ કરીને જોષીપુરા અને ખામધ્રોળ વિસ્તારના રહીશોમાં ભારે ખુશી અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક નિયત થયેલી સોસાયટીઓને તારીખ 18 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2031 સુધી, એટલે કે આગામી પાંચ વર્ષના સમયગાળા માટે 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયની જાહેરાત થતાની સાથે જ વિવિધ સનાતન હિન્દુ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર, લોકપ્રતિનિધિઓ અને આ મુદ્દાને સતત વાચા આપનાર મીડિયા જગતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોમાં લાંબા સમયથી એવી ભીતિ સેવાઈ રહી હતી કે વસ્તીના જનસાંખ્યિક માળખામાં થઈ રહેલા ફેરફારો અને મિલકતોની બિનઅધિકૃત રીતે થતી લે-વેચને કારણે સામાજિક સંતુલન અને ભાઈચારો જોખમાઈ રહ્યો છે. આ ભયને દૂર કરવા માટે સ્થાનિક લોકોએ એકજૂથ થઈને જિલ્લા કલેક્ટરને અનેકવાર આવેદનપત્રો આપ્યા હતા અને સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના ફળસ્વરૂપે હવે અશાંતધારો અમલી બનતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે અને સામાજિક શાંતિ જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. આ ઐતિહાસિક નિર્ણયને આવકારતા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢના અમુક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ છેલ્લા પાંચ-છ વર્ષથી સતત સંઘર્ષ અને પ્રતીક્ષા કરી રહ્યો હતો. આ બાબતે સમાજ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેનો હવે સરકારે સ્વીકાર કર્યો છે. ખાસ કરીને ખામધ્રોળ અને જોષીપુરા જેવા વિસ્તારોમાં હવે મિલકતોની જે ગેરબંધારણીય રીતે લે-વેચ થતી હતી તેના પર સરકારી અંકુશ આવશે. તેમણે ઉમેર્યું હતું કે હવે કોઈપણ મિલકતનું વેચાણ કે ટ્રાન્સફર કરતા પહેલા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય બનશે, જેથી વસ્તીના સંતુલન સાથે થતી છેડછાડ અટકી શકશે. તેમણે આ સફળતા માટે મુખ્યમંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનો પણ આભાર માન્યો હતો. હિન્દુ હિત રક્ષક સમિતિના સંદીપભાઈ પેથાણીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અશાંતધારાનો આ નિર્ણય ખરેખર તો 10 વર્ષ વહેલો લેવાની જરૂર હતી, જેથી સમાજની વર્તમાન પરિસ્થિતિ વધુ સારી હોત. તેમણે એક ટેકનિકલ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે જે 18 સોસાયટીઓમાં આ ધારો લાગુ થયો છે, તેની આસપાસના 500 મીટરના વિસ્તારમાં આ નિયમો લાગુ પડશે કે કેમ તે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. વધુમાં, તેમણે માંગ કરી હતી કે ગિરનાર દરવાજો, ભવનાથ ક્ષેત્ર અને ઝાંઝરડા ચોક જેવા ધાર્મિક રીતે અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ફરી સર્વે કરીને અશાંતધારો લાગુ કરવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ સફળતા માત્ર એક અલ્પવિરામ છે અને બાકી રહેલા વિસ્તારો માટે તેમની લડત અવિરત ચાલુ રહેશે. જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લાંબા સમયથી જે માંગણીઓ થઈ રહી હતી તેને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે જે વિસ્તારોમાં અજંપાભરી સ્થિતિ કે ભયનો માહોલ હોવાની શક્યતા હતી, તેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. સરકારની મંજૂરી બાદ હવે મિલકતની ફેરબદલીની પ્રક્રિયા સંપૂર્ણપણે વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આવી ગઈ છે.હવેથી કોઈપણ મિલકત હસ્તાંતરણ માટે નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીએથી મંજૂરી મેળવવી ફરજિયાત છે, અને આ મંજૂરી મળ્યા બાદ જ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરાવી શકાશે. જૂનાગઢમાં અશાંતધારાની અમલવારીથી માત્ર સોસાયટીઓના રહીશો જ નહીં,પરંતુ શહેરના હેરિટેજ પ્રેમીઓમાં પણ આશા જાગી છે. વિવિધ સંગઠનોએ માંગ કરી છે કે દરબાર હોલ મ્યુઝિયમ અને કલેક્ટર કચેરી જેવા હેરિટેજ વિસ્તારોની પણ યોગ્ય જાળવણી થાય તે જરૂરી છે. એકંદરે, આ નિર્ણયથી જૂનાગઢમાં સામાજિક શાંતિ અને ભાઈચારો વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.
Comments
Post a Comment