સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં IAS - IPS બનવાનું સ્વપ્ન સાકાર:CCDC, JIO UPSC ભવન, વિવેકાનંદ સ્ટડી સેન્ટરથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અનોખો ત્રિકોણ સર્જાયો
https://ift.tt/Wc3QJSe
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GPSC અને UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગનો અનોખો ત્રિકોણ સર્જાયો છે. અહીં વર્ષ 2006 માં CCDC સેન્ટર, વર્ષ 2019 માં JIO UPSC ભવન અને 2025 માં સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર શરૂ થયુ. જેના થકી 130 થી વધુ વિદ્યાર્થીઓ GPSC ની પરીક્ષા પાસ કરી ઓફિસર બની ચૂક્યા છે. અહીંના CCDC સેન્ટરમાં રૂ.1000 ના ટોકન દરે તો વિવેકાનંદ સેન્ટરમાં રૂ.5000 તો JIO UPSC ભવનમાં રૂ.8000 ની ડિપોઝિટ સાથે કોચિંગ આપવામાં આવે છે. જે રકમ રિફંડેબલ છે એટલે કે વિદ્યાર્થીઓ જ્યારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે તમામ રકમ પરત આપી દેવામાં આવે છે. જેથી એક્સપર્ટ ફેકલ્ટીના માધ્યમથી વિનામૂલ્યે તાલીમ આપતું આ સેન્ટર IAS અને IPS બનવાનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે
અહીં વર્ષ 2019 થી UPSC સેન્ટર ચાલે છે. જે માટે મોટું અનુદાન JIO તરફથી પ્રાપ્ત થયું છે. એક અહીં પૂર્ણ સમયના ફેકલ્ટી દિલ્હીથી આવેલા છે. આ ઉપરાંત અન્ય વિઝિટિંગ ફેકલ્ટી આવે છે. આ બધા ફેકલ્ટી એવા છે કે જેઓએ UPSC ની IAS અથવા IPS બનવા માટેની પરીક્ષા ક્રેક કરી હોય. યુનિવર્સિટી કેમ્પસમાં જ આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના સમયગાળાને બાદ કરતા છેલ્લા 6 વર્ષમાં 500 થી વધુ વિદ્યાર્થીઓએ આ UPSC સેન્ટરનો લાભ લીધેલો છે. વિશેષ વાત એ છે કે આ વર્ગો સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે ચાલે છે. જેમાં યુનિવર્સિટી દ્વારા રૂ.8000 જેટલી ડિપોઝિટની રકમ લઈએ છીએ પરંતુ આ ડિપોઝિટની રકમ વિદ્યાર્થીનો અભ્યાસ જ્યારે પૂર્ણ થાય ત્યારબાદ પરત આપવામાં આવે છે. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીના ક્લાસિસમાં અલગ અલગ ફેકલ્ટી દ્વારા ગાઈડન્સ આપવામાં આવે છે. અત્યારસુધીમાં અહીંથી અભ્યાસ કરી ચૂકેલા 130 વિદ્યાર્થીઓએ રિટર્ન પરીક્ષા ક્લિયર કરી લીધી છે. આ ઉપરાંત 3 વિદ્યાર્થી ઈન્ટરવ્યુ સુધી પહોંચેલા છે. અત્યારસુધીમાં અહીં તાલીમ મેળવીને 130 વિદ્યાર્થીઓ સરકારી અમલદારો બન્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CCDC સેન્ટર વર્ષ 2006 થી કાર્યરત છે. રાજ્ય સરકારે તેનો દાખલો લઈ દરેક યુનિવર્સિટીઓમાં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માટે ખાસ અનુદાન આપ્યું છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ મળ્યું છે જે એક્સ્ટ્રા થશે. અહીં CCDC અને UPSC સેન્ટર ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે એટલે આ અનુદાનમાંથી બીજા પ્રકલ્પો પણ શરૂ થાય તેવા પ્રયાસો છે. જેના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ટરએક્ટિવ હોય તેમાં તેને આવવું કદાચ ન શક્ય બને તો કોઈ નિવૃત કલેક્ટર હોય અથવા મસૂરીમાં ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં IAS ઓફિસરોને શીખવાડતા હશે તેઓ અહીં આવી ન શકે તો વર્ચ્યુઅલ મોડથી વિદ્યાર્થીઓને તાલીમ આપી શકે. આ પ્રકારની અત્યંત આધુનિક ઇન્ટરેક્ટિવ પેનલ બોર્ડ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સિવાયની બીજી બધી પરીક્ષાઓ છે જેમકે ઇન્ડિયન ફોરેન સર્વિસ ઉપરાંત ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા પણ UPSC દ્વારા જ લેવામાં આવે છે તો તે પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓને કરાવી શકાય તે પ્રકારના પ્રયાસો છે. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના મૂની સાથે તાજેતરમાં જ મુલાકાત થઈ હતી. તેમના દ્વારા વધુ અનુદાન આપવાની પણ ઈચ્છા બતાવી છે. જેથી હવે પ્રોફેશનલ સેન્ટરના વિસ્તરણની પણ તૈયારી છે. JIO UPSC સેન્ટરમાં તાલીમ મેળવતા નિધિ પંડ્યાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત UPSC ભવનમાં બે વર્ષથી તૈયારી કરું છું. અહીં દિલ્હીથી ફેકલ્ટી ભણાવવા માટે આવે છે અને ત્યાં જેવી જ કોચિંગ સુવિધા અહીં ઉપલબ્ધ છે. જેથી વિદ્યાર્થીઓને દિલ્હી જવાની જરૂરિયાત નથી કારણકે ઘરઆંગણે જ UPSC માટેની કોચિંગની સુવિધા મળી રહે છે. અહીં પ્રિલિમ્સ અને મેઇન એક્ઝામ તેમજ ઇન્ટરવ્યુ માટે ગાઇડન્સ, મેન્ટોરશિપ, ટેસ્ટ સિરીઝ અને ગ્રુપ ડિસ્કશનની સુવિધા ઉપલબ્ધ છે. જેથી આજે જે તમે IAS બનવા તરફના પ્રથમ કદમ તરફ આગળ વધો અને UPSC ભવનની મુલાકાત લો. જ્યારે વિદ્યાર્થિની ડૉ.રક્ષિતા કાનાણીએ જણાવ્યું હતું કે, હું હાલ UPSC ભવનની વિદ્યાર્થિની છું. UPSC એ માત્ર બૂક વાંચવા પૂરતું જ મર્યાદિત નથી પરંતુ અદમ્ય સાહસ અને મહેનતની સફર છે. આ સફર માટે વિદ્યાર્થીઓ માટેનું સેકન્ડ હોમ એટલે લાઇબ્રેરી. અહીં UPSC ના સપનાને સાકાર કરવાનો એક અદમ્ય મોકો છે. અહીં વિનામૂલ્યે UPSC નું ગાઇડન્સ અને તૈયારી કરાવવામાં આવે છે. પ્રિલિમ્સ, મેઈન અને ઈન્ટરવ્યુ માટે મેન્ટરનું સતત ગાઇડન્સ અને ક્વોલિટી સ્ટુડન્ટનો સપોર્ટ એટલો જ જરૂરી છે જે અહીં મળી આવી છે. અહીં ન્યૂઝ પેપર, મેગેઝિન અને UPSC ના પુસ્તકો વિનામૂલ્યે મળી આવે છે. આજે જ તમારા સપનાને સાકાર કરો અને SU JIO માં એનરોલ કરો. આ ઉપરાંત દિવ્યાંક કટેશિયાએ જણાવ્યું હતું કે, હું UPSC JIO ભવન સાથે છેલ્લા એક વર્ષથી જોડાયેલો છું. આપણે જાણીએ છીએ કે દરેકનું IAS અને IPS બનવાનું સ્વપ્ન હોય છે અને એ પણ જાણીએ છીએ કે હાલ લોકો દિલ્હી જવા માટે તત્પર હોય છે. જોકે ત્યાં ભણવાનો, રહેવાનો ખર્ચ તેમજ કોચિંગની ફી ખૂબ જ મોંઘી હોય છે. જોકે આ ભવનની વિશેષતા એ છે કે અહીં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવે છે. અહીં અધ્યતન લાઇબ્રેરી, લેક્ચર બોર્ડની સાથે કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તે માટે અલગ ડાઉટ રૂમ છે. અહીં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો તેના માટે મેનેજમેન્ટ ખડેપગે રહે છે. અહીં આવતી દિલ્હીની ફેકલ્ટીએ UPSC ક્રેક કરેલી છે. અહીં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ UPSC માં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા છે અને અન્ય વિદ્યાર્થીઓ GPSC માં ઓફિસર તરીકે સેવા આપે છે. જેથી હું તમામ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે તમે અહીં જોડાવાનું આપની કારકિર્દીને ઉજ્જવળ બનાવો. CCDC સેન્ટર :
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2006 માં CCDC (કેરિયર કાઉન્સિલ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર) ની સ્થાપના કરવામાં આવી
- IAS, GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી 1000 થી વધુ પુસ્તકો, મેગેઝિન, LCD પ્રોજેક્ટર્સ, કમ્પ્યુટર, લેપટોપની સુવિધા
- અત્યારસુધીમાં 78175 વિદ્યાર્થીઓ આ સેન્ટરનો લાભ લઈ ચૂક્યા છે
- કેમ્પસ પરના અનુસ્નાતકના 2000 વિદ્યાર્થીઓ આનો લાભ લઇ શકે છે
- ઈ મેઈલ નેટવર્કથી 5000 થી વધુ સ્નાતકના વિદ્યાર્થીઓ જોડાયેલા છે
- દર વર્ષે 105 કોલેજ કેમ્પસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોમ્પિટીટીવ એક્ઝામ અવેરનેસ ટેસ્ટ લેવામાં આવે છે
- છેલ્લા ત્રણ વર્ષમાં અહીં તાલીમ મેળવ્યા બાદ 396 થી વધુ વિદ્યાર્થીઓએ GPSC, ગૌણ સેવા, PGVCL, NET અને GSLET જેવી પરીક્ષાઓ પાસ કરવામાં સફળતા મેળવી છે. JIO UPSC ભવન :
- JIO UPSC ભવનમાં IAS અને IPS બનવા માટે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. અહીં રૂ.8000 ડિપોઝિટ લેવામાં આવે છે જોકે તે 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને પરત મળે છે.
- અહીં એડમિશન મેળવવા માટે http://www.sujioupsc.in પર 6 થી 30 મે સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે બાદ 12 જૂને હોલ ટિકિટ ડાઉનલોડ થશે અને 21 જૂને પરીક્ષા હશે અને તે જ દિવસે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થશે. 24 જૂને ફાઇનલ આન્સર કી અને 25 જૂને પ્રિલિમ્સનું રિઝલ્ટ જાહેર થશે. 29 અને 30 જૂનના ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. 1 જુલાઈએ ફાઈનલ રિઝલ્ટ જાહેર થશે અને 1 થી 3 જુલાઈ દરમિયાન ડિપોઝિટની રકમ ભરવાની રહેશે. જે બાદ 6 જુલાઈથી UPSC ની નવી બેચ શરૂ થશે.
- UPSC કોચિંગનો 5 થી 24 વર્ષનો અનુભવ ધરાવતી દિલ્હીની 10 ફેકલ્ટી દ્વારા અલગ અલગ 10 વિષયોની સઘન તાલીમ બે વર્ષ સુધી આપવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર :
- ગુજરાત સરકારની પહેલ હેઠળ સ્થાપિત અને Knowledge Consortium of Gujarat (KCG) દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર ગુજરાતના UPSC સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
- રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છ, જૂનાગઢ, ભાવનગર, ગોધરા, વિસનગર અને આણંદ ખાતે સ્ટડી સેન્ટર શરૂ કરાયા છે.
- અહીં સ્પીપાની ફેકલ્ટી અને એક્સપર્ટ દ્વારા
સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.
- અહીંની આધુનિક લાઇબ્રેરીમાં UPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના 1500 થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. તેમાં સંદર્ભ પુસ્તકો, કરંટ અફેર્સ મેગેઝીન્સ, જર્નલ્સ અને વિવિધ અભ્યાસસામગ્રીનો સમાવેશ થાય છે.
- વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે અહીં ઓનલાઈન તેમજ ઓફલાઈન કોચિંગ લેકચર્સની સુવિધા સાથે સ્માર્ટ ક્લાસરૂમ ઉપલબ્ધ છે.
- નિષ્ણાત ફેકલ્ટી દ્વારા નિયમિત માર્ગદર્શન, ડિજિટલ શિક્ષણ, વિષયવાર વ્યાખ્યાનો, કાઉન્સેલિંગ, કારકિર્દી માર્ગદર્શન અને મેન્ટરશિપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
- UPSCના અભ્યાસક્રમ અનુસાર નિયમિત મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ પરીક્ષાઓ પણ લેવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને પરીક્ષાની પદ્ધતિ અને સમય વ્યવસ્થાપન સમજવામાં મદદરૂપ બને છે.
Comments
Post a Comment