
<p><strong>pm kisan 23rd installment:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર-હુગલીથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નો 23મો હપ્તો રિલીઝ કર્યો છે. આ અંતર્ગત દેશના 9.44 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા થઈ છે, જેમાં ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે. આ ખુશીના અવસરને વધાવવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતીને આધુનિક, સમૃદ્ધ અને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાના સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.</p>
<p><strong>વરસાદ ઓછો પડે તો પણ ચિંતા નહિ, સરકાર ખેડૂતોની પડખે</strong></p>
<p>ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અલ-નીનોની અસરના કારણે જો વરસાદ ઓછો પડે તો પણ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. વૈજ્ઞાનિક અભિગમથી અને ઓછા પાણીએ થતા પાકોની પસંદગી કરીને ખેતી સરળતાથી કરી શકાય છે. સિંચાઈની સુવિધા વધારવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં નર્મદા કમાન્ડ એરિયાની આસપાસના તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારીને હવે 7 કિલોમીટર કરી દેવામાં આવી છે.</p>
<p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>નાના ખેડૂતો માટે લેવાયા મહત્વના નિર્ણયો</strong></p>
<p>ખેડૂતોના પાકને જંગલી જાનવરોથી બચાવવા માટે અપાતી તારની વાડ (ફેન્સિંગ) યોજનામાં પણ સરકારે મોટો ફેરફાર કર્યો છે. પહેલા આ યોજનાનો લાભ લેવા માટે 5 હેક્ટર જમીનની મર્યાદા હતી, જે હવે ઘટાડીને માત્ર 1 હેક્ટર કરી દેવામાં આવી છે જેથી નાના અને સીમાંત ખેડૂતો પણ તેનો સરળતાથી લાભ લઈ શકે. આ ઉપરાંત, ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે તે માટે સ્ટોરેજ (સંગ્રહ) સુવિધાઓ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.</p>
<p><strong>પ્રાકૃતિક ખેતી અને જળ સંરક્ષણ પર વિશેષ ભાર</strong></p>
<p>મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીને ખેડૂતો માટે એક નવી અને ઉત્તમ તક ગણાવી હતી. તેનાથી જમીનની ફળદ્રુપતા તો જળવાઈ જ રહે છે, સાથે જ બજારમાં પાકના સારા ભાવ પણ મળે છે. જળ સંરક્ષણની વાત કરતા તેમણે ઉમેર્યું કે, રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાના લક્ષ્યાંક કરતા પણ વધુ કામ થયું છે. ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે 'કેચ ધ રેન' અભિયાન અંતર્ગત દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.</p>
<p><strong>આ પણ વાંચોઃ&nbsp;<a href="https://gujarati.abplive.com/photo-gallery/agriculture/pm-kisan-23rd-installment-2000-rupees-beneficiary-list-check-983222">પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર, ખાતામાં ₹2,000 આવ્યાનો મેસેજ ન આવ્યો હોય તો કરો આ કામ</a></strong></p>
<p><strong>વચેટિયાઓ વિના સીધી સહાય: કૃષિમંત્રી</strong></p>
<p>આ પ્રસંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે કોઈ પણ વચેટિયાની દખલગીરી વિના સંપૂર્ણ પારદર્શક રીતે ગુજરાતના ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ છે. અત્યાર સુધીમાં દેશભરના 11 કરોડથી વધુ ખેડૂતોને 4.50 લાખ કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. 2019માં શરૂ થયેલી આ યોજના આજે બિયારણ, ખાતર અને દવા ખરીદવા માટે ખેડૂતોનો મોટો આર્થિક આધાર બની ગઈ છે. આ ઉપરાંત અતિવૃષ્ટિ જેવી આફતો વખતે સરકારે આપેલા 11,000 કરોડના રાહત પેકેજનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.</p>
<p>આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યભરના હજારો ખેડૂતોએ વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનેક ખેડૂતોને વિવિધ ખેતીલક્ષી યોજનાઓ અંતર્ગત સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.</p>
<p><strong>તમારો 23મો હપ્તો જમા થયો છે કે નહિ? આ રીતે ચેક કરો સ્ટેટસ:</strong></p>
<p>જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો તમારો હપ્તો જમા થયો છે કે નહિ તે જાણવું સાવ સરળ છે:</p>
<p>સૌથી પહેલા પીએમ-કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.</p>
<p>હોમપેજ પર આપેલા "ખેડૂત ખૂણા" (Farmers Corner) વિભાગમાં જઈને "તમારી સ્થિતિ જાણો" (Know Your Status) વિકલ્પ પર ક્લિક કરો.</p>
<p>તમારો રજિસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર દેખાતો સિક્યોરિટી કોડ (કેપ્ચા) દાખલ કરો.</p>
<p>ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તે દાખલ કરો.</p>
<p>આટલું કરતા જ તમારા 23મા હપ્તાના પેમેન્ટનું સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.</p>
<p><strong>લાભાર્થી યાદીમાં તમારું નામ કેવી રીતે જોશો?</strong></p>
<p>વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.</p>
<p>"ખેડૂત ખૂણા" (Farmers Corner) માં જઈને "લાભાર્થી યાદી" (Beneficiary List) પર ક્લિક કરો.</p>
<p>હવે તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો.</p>
<p>બધી જ માહિતી ભર્યા પછી "રિપોર્ટ મેળવો" (Get Report) બટન પર ક્લિક કરો.</p>
<p>સ્ક્રીન પર તમારા ગામના તમામ પાત્ર ખેડૂતોની યાદી આવી જશે, જેમાં તમે તમારું નામ સરળતાથી શોધી શકશો.</p>
<p><strong>આ પણ વાંચોઃ&nbsp;<a href="https://gujarati.abplive.com/photo-gallery/agriculture/pm-kisan-23rd-installment-release-date-and-beneficiary-status-982830">પીએમ કિસાન યોજના: આ દિવસે ખાતામાં આવશે ₹2,000, સરકારે જાહેર કરી તારીખ!</a></strong></p>
Comments
Post a Comment