સરકારી કચેરીઓના ધક્કા હવે ભૂતકાળ બનશે:વહીવટી તંત્રમાં ફેસલેસ અને પેપરલેસ ક્રાંતિ, 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ
https://ift.tt/bFXaWRQ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને સરકારી સેવાઓ 'લાઈન' માંથી 'ઓનલાઈન' ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી કદમ માનવામાં આવે છે. 20 મહત્વની સેવાઓ હવે ‘ફેસલેસ અને પેપરલેસ’ આ કાર્યક્રમ દરમિયાન GARC (Gujarat Administrative Reforms Commission) ના 5 માં અહેવાલની ભલામણોના આધારે, 5 મુખ્ય વિભાગોની 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કરાયું છે. હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ મેળવવા માટે નાગરિકોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. આ સેવાઓ સંપૂર્ણપણે 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે. પ્રજાના કામમાં સરળતા એ જ સરકારનું લક્ષ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002 માં 'સ્વાગત ઓનલાઇન' દ્વારા જે ટેકનોલોજીની પાયા નાખ્યા હતા, તેના મીઠા ફળ આજે મળી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે ગ્રામીણ સ્તરે તલાટી અને VCE એ આ સેવાઓના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. જ્યારે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ એક થઈને કામ કરે છે, ત્યારે પરિણામ અદભૂત આવે છે. આ નવી વ્યવસ્થામાં 'ડિજિટલ લોકર'ની સુવિધા હોવાથી નાગરિકોએ વારંવાર એકના એક દસ્તાવેજો જમા કરાવવા પડશે નહીં. ઈંધણની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસની અછત હોવાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. ડિજિટલાઇઝેશનથી પારદર્શિતા અને ઝડપમાં વધારો વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, અગાઉ દિલ્હીથી મોકલેલા 1 રૂપિયો છેવાડાના માનવી સુધી પહોંચતા ઘસાઈ જતો, પરંતુ આજે DBT દ્વારા પૂરેપૂરી રકમ સીધી ખાતામાં જમા થાય છે. કમોસમી વરસાદના વળતર પેટે તાજેતરમાં જ એક ક્લિકથી 11,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે. ડિજિટલ સિસ્ટમને કારણે આજે કરોડો રૂપિયાની સહાય વચેટિયાઓ વગર સીધી લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. દર વર્ષે 80 લાખ લોકોની લાઈનો ઘટશે મુખ્ય સચિવ મનોજ દાસે મહત્વની વિગત આપતા જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 80 લાખ લોકો પ્રમાણપત્રો માટે લાઈનમાં ઊભા રહે છે, જે હવે બંધ થશે. 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ એટલું સક્ષમ છે કે એકસાથે 10 લાખ લોકો લોગ-ઈન કરે તો પણ તે હેંગ થશે નહીં. આ સિસ્ટમમાં QR કોડ અને આધાર આધારિત ઓથેન્ટિકેશન હોવાથી સુરક્ષા અને ચોકસાઈ જળવાઈ રહેશે.
Comments
Post a Comment