રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ

<p><strong>Petrol diesel rumors Gujarat:</strong> રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓએ જોર પકડ્યું છે. આ અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ જરૂરિયાત કરતાં વધારે ઈંધણ ખરીદી રહ્યા છે, જેને 'પેનિક બાયિંગ' કહેવાય છે. આ સ્થિતિને કાબૂમાં લેવા અને ઈંધણની સંગ્રહખોરી રોકવા માટે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે 23 માર્ચ 2026ના રોજ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ, હવેથી રાજ્યના કોઈપણ પેટ્રોલ પંપ પર માત્ર વાહનની ટાંકીમાં જ પેટ્રોલ કે ડીઝલ ભરી શકાશે. બેરલ કે કેરબા જેવા પાત્રોમાં ઈંધણ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ સરકારે લોકોને ખાતરી આપી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો સ્ટોક હોવાથી ગભરાવાની કોઈ જ જરૂર નથી.</p> <p>ગાંધીનગરથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઈંધણની કટોકટીની વાતો વાયુવેગે પ્રસરી હતી. આ અફવાઓના કારણે કેટલાક વિસ્તારોમાં વાહનચાલકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા અને વાહનો ઉપરાંત વધારાના પાત્રોમાં પણ ઈંધણ ભરાવવા લાગ્યા હતા. આ પરિસ્થિતિ સરકારના ધ્યાનમાં આવતા જ અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને તમામ મુખ્ય ડેપો તેમજ રિફાઇનરીઓ દ્વારા પેટ્રોલ પંપો પર નિયમિત રીતે ઈંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે.</p> <p>સાંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેચાતા ઈંધણનો ખોટી રીતે સંગ્રહ ન થાય તે માટે સરકારે બે મુખ્ય આદેશો આપ્યા છે:</p> <p>રાજ્યના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર ને માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સીમિત કરી દેવામાં આવ્યું છે.</p> <p>વાહનની ટાંકી સિવાય અન્ય કોઈપણ પાત્ર જેવા કે બેરલ, કેરબા કે બોટલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દોરવાઈને ખોટો ગભરાટ ન ફેલાવે અને પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવે.</p> <p>આ ઉપરાંત, સંગ્રહખોરો માટે પણ લાલબત્તી સમાન ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના નોડલ અધિકારી અને સંયુક્ત નિયામક દ્વારા તમામ કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારીઓ તેમજ તમામ ઓઈલ કંપનીઓ (IOCL, BPCL, HPCL, JioBP, Nayara) ના સ્ટેટ અને ઝોનલ હેડને આદેશની નકલ મોકલી દેવામાં આવી છે. પરિપત્રમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે જો કોઈ વિક્રેતા કે પંપ સંચાલક કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરશે, તો તેની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955' ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.</p>
Comments
Post a Comment