
<p>Gujarat local body Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. 27 થી 31 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. abp અસ્મિતાને મળેલી EXCLUSIVE માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવા જઇ રહી છે. ચૂંટણી પંચ ચૂંટણીનું આયોજન બે તબક્કામાં કરશે, 30 એપ્રિલ મહાનગરપાલિકા અને નગરપાલિકાનું મતદાન યોજાઈ શકે છે.ત્રીજી મેના તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ શકે છે. 5 મેના તમામ ચૂંટણીનું એકસાથે પરિણામ જાહેર થઈ શકે છે. ચૂંટણીના સંભવિત કાર્યક્રમમાં એકાદ સપ્તાહનો ફેરફાર થવાની શક્યતા છે. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વણસે તો ચૂંટણી કાર્યક્રમ અંગે અનિશ્ચિતતા પણ છે. </p> <p class="">ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મતદાન મથકોની યાદી, કર્મચારીઓની નિમણૂંક તથા ઈવીએમ મશીનોની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.</p> <p data-block-key="d3l76">ઉલ્લેખનિય છે કે, 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત માટે પણ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે, જેને લઈને રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ સંગઠન મજબૂત બનાવવા, ઉમેદવારો પસંદ કરવા અને પ્રચારની રણનીતિ ઘડવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. </p> <p data-block-key="d3l76"><strong>રાજ્ય ચૂંટણી આયોગની સઘન તૈયારીઓ અને નવા નિયમો</strong></p> <div class="google_ads_section"> <p>રાજ્યમાં લોકશાહીના આ પર્વને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચે ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં જ આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે 'માસ્ટર ટ્રેનર્સ' ની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પાયાના સ્તરે અધિકારીઓને તાલીમ આપશે. વધુમાં, પંચે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે કે જે ઈમારતોનો ઉપયોગ મતદાન મથક તરીકે થવાનો છે, તેવી જર્જરિત ઇમારતોને તોડવા કે પાડવા પર અત્યારથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેથી મતદાનના દિવસે કોઈ અવરોધ ન સર્જાય.</p> <p>ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે <a title="બજેટ" href="https://ift.tt/TKz4mMJ" data-type="interlinkingkeywords">બજેટ</a> સત્રના સમાપન પછી તરત જ આચારસંહિતા લાગુ થઈ શકે છે. આ આશંકાને પગલે રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલા વિકાસકાર્યો અને નવી જાહેરાતોને વહેલી તકે પૂર્ણ કરવા માટે દોડધામ શરૂ થઈ છે. એકવાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા અમલી બનશે, જેના કારણે નવી યોજનાઓના લોકાર્પણ કે ખાતમુહૂર્ત પર રોક લાગી જશે.</p> <p> </p> </div>
Comments
Post a Comment