
<p>ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખી રાજ્ય સરકારે લીધો છે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય.. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, વીજ ટાવર ઉબા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે.. ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર લેખે વળતર ચુકવવામાં આવતુ હતુ.. પરંતુ ખેડૂતોના વિવિધ સંગઠનો તરફથી મળતી રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી.. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા, વિચાર વિમર્શ અને પરામર્શ કરીને મહત્વનો નિર્ણય કર્યો.. હવેથી ખેડૂતોને જંત્રી આધારિત નહીં, પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવ ચુકવવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે.. આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતુ હતુ. પરંતુ હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તાનરી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચુકવવામાં આવશે.. ઉદાહરણ તરીકે 765 કે.વી.લાઈનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે ખેડૂતોને વળતર અપાતુ હતુ.. જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચુકવવામાં આવશે.. અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40 ટકા, ઈરેક્શન વખતે 40 ટકા અને વાયર લગાડ્યા બાદ 20 ટકા રકમની ચુકવણી થતી હતી.. જેના બદલે જમીન માલિકોને હવે એક સાથે અને અગાઉથી વળતર ચુકવવાનો નિર્ણય કરાયો.. એટલુ જ નહીં.. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નકકી થઈ શકે તે માટે સરકાર માર્કેટ રેટ કમિટિની પણ રચના કરશે.. આ કમિટિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઈઝ્ડ માર્કેટ વેલ્યુઅરને સ્થાન આપવામાં આવશે.. જેથી ખેડૂતોને અન્યાય ન થાય.. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિનો સામેલ કરાશે.. બીજી તરફ વીજ લાઈનના રાઈટ ઓફ વે કોરિડોર માટે MRCએ નિર્ધારિત થયેલ બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે.. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30 ટકા, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60 ટકા મુજબ વળતર આપવામાં આવશે.. સાથે જ સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધુ હોય, પરંતુ વીજ લાઈનનું કામ હજુ પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ મળશે..&nbsp;</p>
Comments
Post a Comment