
<p>Gujarat Rain:&nbsp; ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=XgWoDWCVTQKFtvvG" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p><strong>જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ, નવસારી જિલ્લામાં ધોધમાર વરસ્યો</strong></p>
<p>હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 4.80 ઈંચ, પારડીમાં 3.82 ઈંચ અને પલસાણામાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ચીખલીમાં 2.48 ઈંચ, મહુવામાં 2.17 ઈંચ, નાનાપોંઢામાં 1.97 ઈંચ, કપરાડામાં 1.85 ઈંચ, બારડોલી અને સુરત શહેરમાં 1.73-1.73 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદેવીમાં 1.65 ઈંચ, ઉમરપાડામાં 1.54 ઈંચ, વાલોડમાં 1.50 ઈંચ, ઉમરગામમાં 1.42 ઈંચ અને વાપીમાં 1.38 ઈંચ વરસાદ વરસ્યો છે.</p>
<p><strong>નવસારીમાં બે કલાકમાં ધોધમાર વરસાદ</strong></p>
<p>નવસારી શહેર અને જિલ્લામાં આજે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માત્ર બે કલાકમાં જ જલાલપોરમાં 2.36 ઈંચ, નવસારીમાં 2.13 ઈંચ અને ગણદેવીમાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે કેટલીક દુકાનો અને સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.</p>
<p>નવસારીના જલાલપોરમાં 24 કલાકમાં 5.75 ઈંચ વરસાદ બાદ આજે સવારે 6થી 8માં વધુ અઢી ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જલાલપોર ઉપરાંત નવસારી શહેરમાં 2.13 ઈંચ જ્યારે ગણદેવીમાં 1.61 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી નવસારી શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દુકાનો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા.&nbsp;</p>
<p><strong>જૂનાગઢ અને ધોરાજીમાં પણ વરસાદી માહોલ</strong></p>
<p>સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં વરસ્યાં છે. ભવનાથ સહિત શહેરના વિવિધ વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.</p>
Comments
Post a Comment