ખેડૂતોની દિવાળી સુધરી: કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત! ગુજરાત સરકાર દ્વારા ₹947 કરોડનું રાહત પેકેજ જાહેર

<p><strong>Gujarat farmer relief:</strong> ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ ₹947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આમાં SDRF માંથી ₹563 કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના ₹384 કરોડ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની કાયમી સમસ્યાના નિવારણ માટે ₹2500 કરોડ ના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે.</p> <p><strong>ભારે વરસાદના કારણે પાક નુકસાની: </strong><strong>5 </strong><strong>જિલ્લાના ખેડૂતોને સહાય</strong></p> <p>ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં રાજ્યમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતીપાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું. ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, અને વાવ-થરાદ જેવા 5 જિલ્લાઓના 18 તાલુકાના લગભગ 800 ગામોમાં કૃષિપાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનીના અહેવાલો મળતા, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અને તેમની દિવાળી સુધારવાના ઉદ્દેશથી એક મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.</p> <p>રાજ્ય સરકાર દ્વારા કુલ ₹947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય પેકેજમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) ની જોગવાઈ મુજબ ₹563 કરોડ અને રાજ્ય સરકારે ઉદાર અભિગમ અપનાવીને રાજ્યના બજેટમાંથી વધારાની ₹384 કરોડ ની સહાય ઉમેરી છે. આ સહાય ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકો તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલા નુકસાન બદલ ચૂકવવામાં આવશે.</p> <p><strong>ખેડૂતો માટે વિશેષ સહાય અને કાયમી ઉકેલની જોગવાઈ</strong></p> <ol> <li>બિનપિયત ખેતી પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹12,000 લેખે, જેમાં SDRF ના ₹8,500 અને રાજ્ય બજેટના ₹3,500 નો સમાવેશ થાય છે.</li> <li>વર્ષાયુ/પિયત પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹22,000 લેખે, જેમાં SDRF ના ₹17,000 અને રાજ્ય બજેટના ₹5,000 નો સમાવેશ થાય છે.</li> <li>બહુવર્ષાયુ બાગાયતી પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹27,500 લેખે, જેમાં SDRF ના ₹22,500 અને રાજ્ય બજેટના ₹5,000 નો સમાવેશ થાય છે.</li> </ol> <p>તમામ કિસ્સાઓમાં, આ સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે.</p> <p>આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે વારંવાર ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે 'ફ્લડ મિટિગેશન મેઝર્સ' તરીકે એક ખાસ પ્રોજેક્ટ જાહેર કર્યો છે, જેના માટે અલગથી ₹2500 કરોડ ની જોગવાઈ કરવામાં આવશે.</p> <p>વિશેષ રાહત તરીકે, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય અને ખેડૂતોને રવિ પાક વાવવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય <a title="બજેટ" href="https://ift.tt/zDAf0Lr" data-type="interlinkingkeywords">બજેટ</a>માંથી પ્રતિ હેક્ટર ₹20,000 ની આર્થિક સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ રીતે, રાજ્ય સરકારે ખેડૂતો માટે કુલ ₹3447 કરોડ ની મોટી જાહેરાત કરી છે.</p>
Comments
Post a Comment