અતિભારે વરસાદનો ખતરો! આ તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં તોફાની વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

<p><strong>Gujarat rain alert:</strong> હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, હાલ અરબ સાગરમાં સક્રિય સિસ્ટમનો ટ્રેક બદલાઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં માવઠાની અસર 2 નવેમ્બર સુધી યથાવત્ રહેશે. 28 ઓક્ટોબર સુધીમાં પડેલા અતિભારે વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા ખરીફ પાકને 100% નુકસાન થયું છે. આગાહી પ્રમાણે, 29 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા હળવી રહેશે, પરંતુ 30 અને 31 ઓક્ટોબરે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ટ્રેક બદલાતા હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ, કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના અમદાવાદ-ગાંધીનગર સુધીના વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડી શકે છે. નિષ્ણાતે સરકારને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા માટે અપીલ કરી છે, કારણ કે પાકને થયેલું નુકસાન સર્વે વિના પણ સ્પષ્ટ છે.</p> <p><strong>વરસાદની વર્તમાન સ્થિતિ અને ખરીફ પાકને નુકસાન</strong></p> <p>રાજ્યમાં 25 ઓક્ટોબર થી શરૂ થયેલા માવઠાએ અનેક વિસ્તારોને ઘમરોળ્યા છે. છેલ્લા ઘણા વર્ષોમાં પ્રથમવાર એવું બન્યું છે કે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં આટલા તીવ્ર વરસાદની નોંધ લેવાઈ હોય, જેની તીવ્રતા અષાઢ અને શ્રાવણ મહિનાના વરસાદ જેટલી રહી છે. આ અણધાર્યા વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોનો જે ખરીફ પાક તૈયાર થઈ ગયો હતો, તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.</p> <p>નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સરકારને અપીલ કરી છે કે, હવે સર્વે કરાવવાની જરૂર નથી, કારણ કે પાકને 100% નુકસાન થયું છે તે સ્પષ્ટ છે. જો સરકાર ખરેખર ખેડૂતોને ન્યાય આપવા માંગતી હોય, તો તાત્કાલિક ધોરણે ખેડૂતોએ લીધેલું તમામ પાક ધિરાણ માફ કરવું જોઈએ, જેથી ખેડૂતોને રાહત મળી શકે.</p> <p><strong>અરબ સાગરની સિસ્ટમનો ટ્રેક બદલાયો: ક્યાં પડશે તીવ્ર વરસાદ</strong><strong>?</strong></p> <p>અરબ સાગરમાં સક્રિય રહેલી સિસ્ટમ હાલમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દક્ષિણ દિશા તરફ, ખાસ કરીને ગીરસોમનાથ જિલ્લાથી દક્ષિણ તરફ સક્રિય છે. આ સિસ્ટમ અત્યાર સુધી ઉત્તર પશ્ચિમ દિશામાં ખસી જવાની હતી, જેના કારણે દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓછા વરસાદની શક્યતા હતી.</p> <p>જોકે, સિસ્ટમના અલગ અલગ મોડેલો હવે ટ્રેક ચેન્જ બતાવી રહ્યા છે. આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશાને બદલે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે. ટ્રેક બદલાતા હવે આ સિસ્ટમ દ્વારકા, જામનગર, કચ્છના અમુક ભાગો, મોરબી, સુરેન્દ્રનગર થઈને મધ્ય ગુજરાતના વિરમગામ, અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચી શકે છે.</p> <p><strong>30 </strong><strong>અને </strong><strong>31 </strong><strong>ઓક્ટોબરે અતિભારે વરસાદની આગાહી</strong></p> <p>નિષ્ણાતની આગાહી મુજબ, આ માવઠું 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી અસરકારક રહેવાનું છે.</p> <ul> <li>29 ઓક્ટોબર (આવતીકાલે): વરસાદની તીવ્રતા ઘણી જગ્યાએ ઘટી જશે અને વાતાવરણ હળવું રહેશે.</li> <li>30 અને 31 ઓક્ટોબર: આ બે દિવસ રાજ્યમાં ફરીથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે.</li> </ul> <p>આ દિવસો દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ભાગોમાં તીવ્રતા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાલ વિસ્તાર, વિરમગામ, અમદાવાદ અને ગાંધીનગર માં પણ 30, 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર સુધી તીવ્ર વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 29 ઓક્ટોબરની મોડી રાતથી વરસાદ હળવો પડી જવાની શક્યતા છે.</p> <p><strong>નુકસાનનો મોટો આંકડો આવવાની સંભાવના</strong></p> <p>નિષ્ણાતે ચેતવણી આપી છે કે હજી આ માવઠું પૂર્ણ નથી થયું અને તે ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે. અત્યાર સુધીમાં જે નુકસાન થયું છે, તે છેલ્લા એક દાયકા માં ક્યારેય ન થયું હોય તેટલું મોટું છે, અને હજુ વધુ નુકસાનીની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ વરસાદ પૂર્ણ થયા પછી જ રાજ્યમાં થયેલા નુકસાનનો સાચો અને મોટો આંકડો સામે આવશે.</p>
Comments
Post a Comment