ABRSM ગુજરાત-પ્રાંતે રાજ્ય સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કર્યું:NEP-2020 અને અનુસ્નાતક કાર્યક્રમો પર ચર્ચા કરાઈ
https://ift.tt/W1mg5De અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત-પ્રાંત, ઉચ્ચ શિક્ષણ સંવર્ગ (ABRSM-Gujarat) દ્વારા એક દિવસીય રાજ્ય સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને 180 જેટલા વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડો. કે. સી. પોરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતા શિક્ષણમાં આવતા બદલાવોને આવકારવા અને ગુણવત્તાસભર શિક્ષણ પર ભાર મૂક્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટના સિનિયર સભ્ય દિલીપભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા શિક્ષણ જગતમાં સંગઠનની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ સંગોષ્ઠીના મુખ્ય વક્તા કે. કે. પટેલ (H.O.D., હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) એ "NEP-2020 હેઠળ એક વર્ષીય VS બે વર્ષીય અનુસ્નાતક કાર્યક્રમ: પાત્રતા, માળખું અને પરિણામો" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે તેમના વક્તવ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) મુજબ અનુસ્નાતક (PG) અભ્યાસક્રમમાં થયેલા બદલાવોની ઝીણવટભરી માહિતી આપી. તેમણે કયા સંજોગોમાં એક વર્ષ અને કયા સંજોગોમાં બે વર્ષનો અભ્યાસક્રમ રહેશે, વિદ્યાર્થીઓની પાત્રતાના માપદંડો અને નવા માળખાથી વિદ્યાર્થીઓને મળનારી શૈક્ષિક સુગમતા વિશે સમજ આપી. વધુમાં, તેમણે આ ફેરફારોથી ઉચ્ચ શિક્ષણના સ્તરમાં કેવો સકારાત્મક સુધારો આવશે અને રોજગારીની તકો પર તેની શું અસર પડશે તેની તાર્કિક રજૂઆત કરી હતી. ABRSM ગુજરાત-પ્રાંત (ઉચ્ચ શિક્ષણ સંવર્ગ) ના અધ્યક્ષશ્રી ડૉ. રોહિતભાઈ એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહાસંઘ માત્ર અધ્યાપકોના પ્રશ્નો જ નહીં, પરંતુ રાષ્ટ્રહિતમાં શિક્ષણના પ્રશ્નો માટે પણ સતત કાર્યરત છે. તેમણે RSS દ્વારા પ્રેરિત 'પંચ પરિવર્તન' (કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી જીવનશૈલી, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય) ની વિગતે ચર્ચા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંગઠન માત્ર અધ્યાપકો માટે જ નહીં, પણ વિદ્યાર્થીઓના પાઠ્યક્રમ અને તેમના ભવિષ્યની પણ એટલી જ ચિંતા કરે છે. આ સંગોષ્ઠી શિક્ષણવિદો માટે વૈચારિક આદાન-પ્રદાનનું એક સબળ માધ્યમ બની રહી. NEP-2020ના અમલીકરણ અને શૈક્ષિક સંગઠનની સામાજિક જવાબદારીઓ અંગેના આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ શિક્ષણવિદોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. સંગોષ્ઠીની પૂર્ણાહુતિ "રાષ્ટ્રના હિતમાં શિક્ષણ, શિક્ષણના હિતમાં અધ્યાપક અને અધ્યાપકના હિતમાં સમાજ" ના સૂત્ર સાથે થઈ હતી.
Comments
Post a Comment