મારવાડી યુનિવર્સિટીએ AI સ્નેક રોબોટ વિકસાવ્યો:ભૂકંપ બચાવ કામગીરીમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધશે
https://ift.tt/YMO1eLr મારવાડી યુનિવર્સિટીના સંશોધકોએ ભૂકંપ અને અન્ય આપત્તિઓમાં બચાવ કામગીરી માટે AI આધારિત સર્પાકાર (સ્નેક) રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટ ખાસ કરીને ઇમારતો ધરાશાયી થવા કે રાસાયણિક દુર્ઘટનાઓ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં કાટમાળ નીચે દટાયેલા જીવિત અથવા મૃત લોકોને શોધવામાં મદદરૂપ થશે. આ સ્નેક રોબોટનું શરીર સાપ જેવી લચીલાશ ધરાવે છે, જેના કારણે તે સંકુચિત જગ્યાઓ, તૂટેલા કૉન્ક્રિટના ઢગલાં અને અનિયમિત માળખાંમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. રોબોટ સાથે જોડાયેલ હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને અન્ય સેન્સર ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટરને લાઇવ વિડિયો ફીડ મોકલે છે, જેના આધારે બચાવ ટીમ તાત્કાલિક નિર્ણય લઈ શકે છે. રોબોટમાં ઉપયોગમાં લેવાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિડિયો ફીડમાં નરી આંખે સ્પષ્ટ ન દેખાતા માનવ અંગો, હલનચલન અથવા શરીરના સંકેતોને પણ ઓળખી શકે છે. આનાથી બચાવ કામગીરી વધુ ઝડપી, ચોક્કસ અને સુરક્ષિત બનશે, જે આપત્તિના સમયમાં જીવ બચાવવાની સંભાવનામાં નોંધપાત્ર વધારો કરશે. આ સંશોધન અંગે પ્રોજેક્ટના ઇન્વેસ્ટિગેટર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "ભૂકંપ જેવી આપત્તિમાં દટાયેલા લોકો માટે દરેક સેકન્ડ અમૂલ્ય હોય છે. ઘણી વખત UAV અથવા ડ્રોન ટેક્નોલોજી આવી પરિસ્થિતિઓમાં અસરકારક સાબિત થતી નથી. 2001ના ભૂકંપ જેવી હોનારતોને ધ્યાનમાં રાખીને, દેશને એવી સ્વદેશી ટેક્નોલોજીની જરૂર છે જે સીધી રીતે બચાવ ટીમ અને પીડિતોની મદદ કરી શકે." તેમણે ઉમેર્યું કે તાજેતરની AI ક્રાંતિ આ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ વિચાર સાથે વિકસાવાયેલ સર્પાકાર રોબોટ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે. આ રોબોટ વિવિધ પ્રકારના કેમેરા અને સેન્સર સાથે કાર્ય કરી શકે છે, જેના દ્વારા જીવિત તથા મૃત વ્યક્તિ વિશેની માહિતી તરત પ્રાપ્ત થઈ શકે છે. આ સંશોધન પ્રોજેક્ટમાં મારવાડી યુનિવર્સિટીના સહ-પ્રાધ્યાપકો ડો. તપનકુમાર ત્રિવેદી અને અક્ષય રાણપરીયા પણ સંકળાયેલા છે. આ અભ્યાસને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત જર્નલ Scientific Reports (Nature Publishing Group) માં પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે આ સંશોધનની વૈશ્વિક મહત્વતા દર્શાવે છે. આ સંશોધન કાર્ય ગુજરાત સરકારની Gujarat Council on Science and Technology (GUJCOST) દ્વારા સંચાલિત Science Technology Innovation Scheme હેઠળ સહાય પ્રાપ્ત કરીને કરવામાં આવ્યું છે.આ AI આધારિત સ્નેક રોબોટ ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતને સ્વદેશી અને અદ્યતન ટેક્નોલોજી સાથે વધુ સશક્ત બનાવશે અને અનેક અમૂલ્ય જીવ બચાવવામાં મદદરૂપ બનશે.
Comments
Post a Comment