GEBEA નું ત્રિવાર્ષિક અધિવેશન યોજાશે:GEBEA ના ત્રિવાર્ષિક અધિવેશનમાં ઉમટશે 7 હજાર ઇજનેરો; મંત્રી ઋષિકેશ પટેલ અને ગોરધન ઝડફિયાની હાજરીમાં બે દિવસીય કાર્યક્રમ યોજાશે.
https://ift.tt/9WfgOG0 ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના ઇજનેરોના સંગઠન GEBEA (Gujarat Electricity Board Engineers' Association) દ્વારા જૂનાગઢના આંગણે ભવ્ય ત્રિવાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો આપવા માટે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આગામી ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ ઇજનેરોનો આ વિરાટ મહાસંગમ યોજાશે. જૂનાગઢની ધોરાજી ચોકડી પાસે આવેલા હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે આ બે દિવસીય અધિવેશન યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને જીઈબી એસોસિએશનના પ્રેસિડેન્ટ ગોરધન ઝડફિયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જૂનાગઢના સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. એસોસિએશનના જનરલ સેક્રેટરીએ વધુમાં જણાવ્યું કે GEBEA માં હાલ 7000 થી વધુ સભ્યો જોડાયેલા છે. આ અધિવેશનમાં ગુજરાતભરના વીજ ઇજનેરો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે, જેના કારણે અંદાજે ૬૦૦૦થી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ પ્રકારના આયોજનથી રાજ્યના તમામ વીજ ઇજનેરોમાં એકતા અને સંકલન મજબૂત બનશે. અધિવેશન દરમિયાન GEBEA મંડળના આગામી ટર્મ માટેના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ સાથે જ સંગઠનના ભવિષ્યના લક્ષ્યાંકો અને વીજ ક્ષેત્રે આવનારા પડકારો અંગે પણ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં ભોજન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ આ મંચ પરથી રાજ્યના વીજ માળખાને વધુ સુદ્રઢ બનાવવા અને ઇજનેરોના વિવિધ પ્રશ્નો પર સરકારનું ધ્યાન દોરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓ માટે એસોસિએશનના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Comments
Post a Comment