
<p><strong>Kirit Patel resignation:</strong> ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) ચાલી રહેલો આંતરિક કલેશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને તેમણે આવતીકાલે પક્ષના દંડક (Party Whip) પદેથી રાજીનામું (Resignation) આપવાની જાહેરાત કરી દીધી છે. આ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</p> <p><strong>આવતીકાલે રાજીનામું: પ્રદેશ નેતૃત્વ સામે ખુલ્લો બળવો</strong></p> <p>પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરીટ પટેલે પ્રદેશ નેતૃત્વ સામે બાયો ચડાવી છે. પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના (SC Morcha) પ્રમુખની નિમણૂકને લઈને તેઓ અત્યંત નારાજ છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ કડક પગલું ભરશે. આખરે, તેમની માંગણીઓ ન સંતોષાતા તેમણે જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે વિધિવત રીતે કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું ધરી દેશે.</p> <p><strong>'હરાવનારાઓને હોદ્દા અને જીતાડનારાની અવગણના'</strong></p> <p>કિરીટ પટેલનો આક્ષેપ છે કે પક્ષમાં સાચા કાર્યકરોની કદર થતી નથી. તેમણે પ્રદેશ નેતાગીરી (Leadership) પર પ્રહારો કરતા કહ્યું કે, "ચૂંટણીમાં જે લોકોએ મને હરાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા, તેમને જ આજે સંગઠનમાં મોટા હોદ્દા આપવામાં આવી રહ્યા છે." ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણયો લેવાતા હોવાથી તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 1 મહિનાથી પ્રદેશ અને જિલ્લા પ્રમુખ માત્ર વાયદાઓ કરી રહ્યા છે, કોઈ નક્કર પગલાં લેવાયા નથી.</p> <p><strong>2027 ની ચૂંટણીને લઈ ભયાનક ભવિષ્યવાણી</strong></p> <p>પક્ષમાં ચાલી રહેલા જૂથવાદ (Factionalism) અંગે કિરીટ પટેલે ગંભીર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ જૂથવાદ છોડવા તૈયાર નથી, જેના કારણે સામાન્ય જનતાનો ભરોસો તૂટી રહ્યો છે. જો આ જ સિસ્ટમ ચાલુ રહી તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election 2027) કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે અને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે.</p> <p><strong>કાર્યકરો આક્રમક મૂડમાં, તોડફોડની ભીતિ</strong></p> <p>કિરીટ પટેલે માત્ર રાજીનામાની વાત નથી કરી, પરંતુ પરિસ્થિતિ વણસી શકે છે તેવો ઈશારો પણ કર્યો છે. તેમણે જણાવ્યું કે પાટણ કોંગ્રેસના પાયાના કાર્યકરો (Party Workers) આ નિર્ણયોથી ખુબ ગુસ્સામાં છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નારાજ કાર્યકરો તોડફોડ કરતા પણ અચકાશે નહીં. જો પ્રદેશ નેતાઓ આ બાબતે ગંભીર નહીં બને તો પાટણ જેવી આગ અન્ય શહેરોમાં પણ ફેલાઈ શકે છે.</p> <p><strong>અમિત ચાવડાનો બચાવ: 'ઘરનો મામલો છે, ઉકેલી લઈશું'</strong></p> <p>એક તરફ કિરીટ પટેલે રાજીનામાનું શસ્ત્ર ઉગામ્યું છે, તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) ડેમેજ કંટ્રોલના પ્રયાસમાં લાગ્યા છે. તેમણે સ્વીકાર્યું હતું કે SC વિભાગની નિમણૂકને લઈને અસંતોષ છે, પરંતુ તેમણે આને "ઘરનો આંતરિક મામલો" ગણાવ્યો હતો. ચાવડાએ દાવો કર્યો છે કે બંને જૂથોને સાથે બેસાડીને આ વિવાદનો સુખદ અંત લાવવામાં આવશે.</p>
Comments
Post a Comment