11,000થી વધુ ઉદ્યોગકારોને 'વન ક્લિક'માં ₹1349 કરોડની સબસિડી:હર્ષ સંઘવીએ ઉધોગપતિઓને કહ્યું 'ભૂલો શોધવા કરતા સમાધાન પર ફોકસ કરો', 'ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ'ના MoU થશે
https://ift.tt/CrIm1Yo સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' પૂર્વે રાજ્ય સરકારે ઉદ્યોગકારો માટે તિજોરી ખોલી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત દરમિયાન 'વન ક્લિક' સિસ્ટમ દ્વારા ગણતરીની સેકન્ડોમાં ઉદ્યોગપતિઓના ખાતામાં સબસિડી રિલીઝ કરી છે. સબસિડીનું સેક્ટર મુજબ વિભાજન ઉદ્યોગપતિઓના ખાતામાં રૂપિયા 1349 કરોડની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. MSME સેક્ટરના 7,495 નાના એકમોને ₹299.75 કરોડ, ટેક્સટાઇલ સેક્ટરના 3,423 લાભાર્થીઓને ₹538.76 કરોડ, મોટા ઉદ્યોગોના 111 લાભાર્થીઓને ₹510.99 કરોડની સહાય આપવામાં આવી હતી. હર્ષ સંઘવીનો ઉદ્યોગકારોને સંદેશ સમીક્ષા બેઠકમાં મંત્રીએ ઉદ્યોગકારોને સકારાત્મક અભિગમ રાખવા અપીલ કરતા જણાવ્યું કે, "નાની ભૂલો શોધવાને બદલે આપણે ઉકેલ (Solution) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો આપણે સાથે મળીને રસ્તો કાઢીશું, તો જ રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવી શકીશું." પર્યાવરણ રક્ષા માટે ₹6,000 કરોડનો મેગા પ્રોજેક્ટ આ સમિટમાં સુરતના ઉદ્યોગો માટે 'ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ'ના MoU પણ થવા જઈ રહ્યા છે. 7 થી 8 ટ્રીટમેન્ટ પ્લાન્ટનું શુદ્ધ કરેલું પાણી દરિયામાં 8 થી 10 કિમી અંદર છોડવામાં આવશે. જેનો ખર્ચ અંદાજે ₹5 થી 6 હજાર કરોડ થશે, જેમાં 80 ટકા ભંડોળ સરકાર અને 20 ટકા ઉદ્યોગોને ફાળવશે. ઉદ્યોગોમાં 'ટર્શરી ટ્રીટેડ પાણી'ના વપરાશ પર ભાર મૂકાશે, જેથી પીવાલાયક પાણીનો બચાવ થાય અને ખેતી તેમજ ઘરવપરાશ માટે વધુ પાણી ઉપલબ્ધ રહે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓમાં ભારે ઉત્સાહ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ નિખિલ મદ્રાસીએ આ સમિટ અંગે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સરકાર સાથે સીધી વાતચીત કરવાની આ એક અમૂલ્ય તક મળી હોવાથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ થનગની રહ્યા છે. ખાસ કરીને આવનારા દિવસોમાં જે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) થવાના છે, તેના દ્વારા ભવિષ્યના વિકાસની નવી રૂપરેખા તૈયાર થશે. દક્ષિણ ગુજરાતની અંદર કાર્યરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના તમામ ઉદ્યોગકારો આ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં એક્ટિવલી અને ઉત્સાહપૂર્ણ રીતે ભાગ લેવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ગુજરાત ડે અને વાઇબ્રન્ટ સમિટનો ઐતિહાસિક સમન્વય સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) ના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ આ પ્રસંગના જણાવ્યું હતું કે, આવતીકાલે 'ગુજરાત ડે' (Gujarat Day) છે અને વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત પણ સુરતથી જ કરી હતી. તે જ પરંપરા ફરી એકવાર સુરતથી આગળ વધી રહી છે, જેને લઈને ઉદ્યોગોમાં જબરદસ્ત હકારાત્મક માહોલ છે. ભલે હાલમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ પડકારજનક હોય, પરંતુ સરકાર તરફથી મળતા સતત સહકાર, બાકી રહેલી સબસીડીની ચુકવણીઓ અને નવા પ્રોજેક્ટ્સને મળતી મંજૂરીઓને કારણે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. પર્યાવરણ રક્ષા માટે 6 હજાર કરોડનો ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સુરતના ઉદ્યોગો માટે એક ગેમ-ચેન્જર સાબિત થનાર પ્રોજેક્ટના MoU પર પણ મહોર વાગવા જઈ રહી છે. જીતુભાઈ વખારિયાના જણાવ્યા અનુસાર, સુરતની આજુબાજુ આવેલા 7 થી 8 જેટલા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CEPT) નું કેમિકલયુક્ત ગંદુ પાણી એકત્ર કરી, તેને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ શુદ્ધ કરી મધ્ય દરિયામાં એટલે કે 8 થી 10 કિલોમીટર અંદર છોડવા માટે 'ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ' તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજે 5 થી 6 હજાર કરોડ રૂપિયાના આ મેગા પ્રોજેક્ટ માટે 80% ભંડોળ ગુજરાત સરકાર ફાળવશે, જ્યારે 20% હિસ્સો ઉદ્યોગો દ્વારા આપવામાં આવશે. આ પાણી દરિયાકિનારે પરત ન આવે તેવા નોર્મ્સ સાથે આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવશે. ટર્શરી ટ્રીટેડ વોટર થકી ભવિષ્યની જળ સમસ્યાઓનો ઉકેલ ઔદ્યોગિક વિકાસની સાથે જળ સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે. આ દિશામાં પાંડેસરાના ઉદ્યોગોએ 2013માં ભારતમાં સૌપ્રથમ વખત 'ટર્શરી ટ્રીટેડ પાણી' નો વપરાશ શરૂ કર્યો હતો. હવે આ પ્રોજેક્ટને વધુ વ્યાપક બનાવી, પ્રોસેસિંગ યુનિટ્સમાં સંપૂર્ણપણે ટર્શરી ટ્રીટેડ પાણીનો જ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તેનાથી જે પીવાલાયક શુદ્ધ પાણી બચશે, તેનો ઉપયોગ સ્થાનિક નાગરિકોની ડોમેસ્ટિક જરૂરિયાતો અને ખેતી માટે કરવામાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય જળ સંચય માટે અતિ મહત્વનો છે, જે લાંબા ગાળે સુરતના ભૂગર્ભ જળસ્તરને જાળવી રાખવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે અત્યંત લાભદાયી સાબિત થશે.
Comments
Post a Comment