
<p><strong>GIDC Amnesty Scheme:</strong> ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વધુ વેગ આપવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના MSME ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનો દ્વારા કરવામાં આવેલી લાંબા સમયની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે નવી 'GIDC એમ્નેસ્ટી સ્કીમ' અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ભૂતકાળમાં GIDC ના પ્લોટ ધારકો ઔદ્યોગિક પ્લોટ કે શેડની ફેરબદલી વખતે રજિસ્ટર્ડ લીઝ ડીડ કરવાને બદલે માત્ર એલોટમેન્ટ લેટર કે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટના આધારે વ્યવહારો કરતા હતા, જેના કારણે મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી રહી જતી હતી. તાજેતરમાં 2 એપ્રિલ, 2025 ના રોજ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 માં સુધારો કરવામાં આવ્યો, જે 10 એપ્રિલ, 2025 થી લાગુ થયો. આ કડક નિયમ મુજબ, જૂના દસ્તાવેજો રજૂ કરવા પર દર મહિને 2 થી 3 ટકા લેખે સાદું વ્યાજ અને મૂળ ડ્યુટીના 4 થી 6 ગણા સુધીનો તોતિંગ દંડ વસૂલવાની જોગવાઈ છે. આનાથી વર્તમાન પ્લોટ માલિકો પર લોન લેતી વખતે અસહ્ય આર્થિક ભારણ આવતું હતું.</p>
<p><strong>80 ટકા સુધીની આર્થિક રાહત અને ફરજિયાત નોંધણી</strong></p>
<p>આ વિકટ પરિસ્થિતિમાંથી નાના અને મધ્યમ ઉદ્યોગોને ઉગારવા માટે સરકારે 80 ટકા સુધીની સ્ટેમ્પ ડ્યુટી માફીની ભેટ આપી છે. આ નવી એમ્નેસ્ટી યોજના હેઠળ, માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા પાત્ર MSME એકમોને જૂના બાકી વ્યવહારો પર લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80 ટકા સુધીની સીધી રાહત મળશે. લાભાર્થીઓએ માત્ર બાકીની 20 ટકા ડ્યુટી અને નિયત પેનલ્ટી જ ભરવાની રહેશે. જોકે, સરકારે એ સ્પષ્ટતા કરી છે કે જ્યાં 20 ટકા ડ્યુટી અને પેનલ્ટીનો કુલ સરવાળો મૂળ ડ્યુટી કરતાં ઓછો થતો હશે, ત્યાં મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલ કરવામાં આવશે. આ રાહતનો લાભ મેળવવા માટે ઉદ્યોગકારોએ 30 જૂન, 2025 સુધીમાં થયેલા એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર કે ભાડાપટ્ટાના વ્યવહારોની કાયદેસરની નોંધણી કરાવવી સંપૂર્ણપણે ફરજિયાત રહેશે.</p>
<p><strong>જૂના વ્યવહારો અને કોર્ટ કેસો માટે વિશેષ જોગવાઈ</strong></p>
<p>આ યોજનાને વધુ વ્યાપક બનાવતા 1 જાન્યુઆરી, 2018 પહેલાં થયેલા મિલકત ફેરબદલીના વ્યવહારોને પણ આવરી લેવાયા છે. આવા કિસ્સાઓમાં છેલ્લી તબદીલીના દસ્તાવેજ પર નક્કી થતી બજાર કિંમતના આધારે 80 ટકા રાહત અપાશે. જ્યારે 1 જાન્યુઆરી, 2018 પછીના વ્યવહારોમાં પણ આ સમાન 80 ટકાની રાહત ઉપલબ્ધ રહેશે. સૌથી મોટી રાહત એવા કિસ્સાઓમાં છે કે જ્યાં પ્લોટ ધારકોએ સક્ષમ સત્તાધિકારી સમક્ષ અપીલ કરી 25 ટકા રકમ જમા કરાવી હોય, અથવા કોર્ટમાં કેસ ચાલતો હોય. કોર્ટમાંથી પિટિશન પાછી ખેંચવાની શરતે તેમને પણ આ એમ્નેસ્ટી સ્કીમનો પૂરેપૂરો લાભ આપવામાં આવશે.</p>
<p>મુખ્યમંત્રીના આ સંવેદનશીલ નિર્ણયથી ઉદ્યોગકારોના માથે લટકતો વર્ષો જૂનો આર્થિક બોજ હળવો થશે અને સરકારી તિજોરીમાં લાંબા સમયથી અટવાયેલી ડ્યુટીની વસૂલાત પણ ઝડપથી પૂરી થશે. દસ્તાવેજોની નોંધણી કાયદેસર અને પારદર્શક બનવાથી રાજ્યમાં નવા ઉદ્યોગોની સ્થાપના અને વર્તમાન એકમોના વિસ્તરણ માટે એક અત્યંત સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થશે.</p>
<p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
Comments
Post a Comment